ફાગણ માસ ની પૂર્ણિમા એટલે હોલિકા દહન ...
અને બીજો દિવસ એટલે ધુળેટી....
""વાતવિવેકથી"" ના આ સેગમેંટ માં વાત કરવી છે,
હોલિકા દહન પાછળ પુરાણો ની કેટલીક માન્યતાઓ ની...
ફાગણ પૂર્ણિમાનો શુભ સમય - હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ પૂર્ણિમા 24 માર્ચ, 2024, રવિવારના રોજ સવારે 09:54 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તારીખ બીજા દિવસે સોમવાર, 25 માર્ચ, 2024 ના રોજ બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસનું વ્રત 25 માર્ચે જ રાખવામાં આવશે.
ફાગણ સુદ ૧૫ ને ગુજરાતી માં ફાગણ સુદ પૂર્ણિમા કે ફાગણ સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો પંદરમો દિવસ છે.
પૂર્ણિમા સુદ પક્ષની 15મી તિથિ હોય છે. એટલે સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસ ચંદ્ર પૂર્ણ હોય છે અને 16 કળાઓ ધરાવે છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
ફાગણ પૂર્ણિમાઃ વસંતોત્સવ પર્વઃ-
ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ વસંત ઋતુ દરમિયાન આવે છે. એટલે તેને વસંતોત્સવ પણ કહેવામાં આવે છે. આ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. થોડી પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દ્વારા લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. એટલે દેશના થોડા વિસ્તારમાં લક્ષ્મીજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.
દર મહિનાની પૂર્ણિમાએ ખાસ પર્વઃ-
દર મહિનાની પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઊજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દરેક મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.
1. ચૈત્ર પૂનમઃ- આ દિવસે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં હનુમાન જયંતી ઊજવવામાં આવે છે.
2. વૈશાખ પૂનમઃ- આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઊજવવામાં આવે છે.
3. જેઠ પૂનમઃ- આ દિવસે અખંડ સૌભાગ્યની કામનાથી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે.
4. અષાઢ પૂનમઃ- આ દિવસે ગુરુ પુર્ણિમા પર્વ હોય છે. સાથે જ કબીરદાસ જયંતી પણ ઊજવવામાં આવે છે.
5. શ્રાવણ પૂનમઃ- આ દિવસે રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવે છે.
6. ભાદરવા પૂનમઃ- અખંડ સૌભાગ્યની કામના સાથે ઉમા મહેશ્વર વ્રત કરવામાં આવે છે.
7. આશો પૂનમઃ- આ દિવસે શરદ પર્વ ઊજવવામાં આવે છે. સાથે જ, કોજાગર વ્રત પણ કરવામાં આવે છે.
8. કારતક પૂનમઃ- આ દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે અને ગુરુ નાનક જયંતી પર્વ ઊજવવામાં આવે છે.
9. માગશર પૂનમઃ- આ દિવસે શ્રી દત્તાત્રેય જયંતી પર્વ ઊજવવામાં આવે છે.
10. પોષ પૂનમઃ- આ દિવસે શાકંભરી જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન અને દાન માટે પણ દિવસ ખાસ છે.
11. માઘ પૂનમઃ- તેને માઘી પૂનમ પણ કહેવાય છે. આ દિવસે સંત રવિદાસ, શ્રી લલિતા અને ભૈરવ જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પણ સંગમમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે.
12. ફાગણ પૂનમઃ- આ દિવસે હોલિકા દહન પર્વ ઊજવવામાં આવે છે. બીજે દિવસે ધુળેટી ઉજવાય છે જેને દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આંધ્ર પ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.
ભારત સહિત આસ પાસ ના દેશ માં ઉત્સાહ થી આ તહેવાર ઉજવાય છે.
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.
હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.
ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
"રંગ બરસે ભિગે ચુનરવા..."
"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:
"રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
"કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ
ચાલો જાણીએ..અને માણીએ હોલિકા દહન ઉજવણી ની વાતો....
પ્રથમ માન્યતા,
વિષ્ણુ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્પ
વૈષ્ણવ સંપ્રદાય ના પુરાણ મુજબ,
એક આશુર રાજા હિરણ્ય એ આકરી તપસ્યા કરી ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું કે,
પૃથ્વી પર કોઈ જીવ જંતુ, દેવી દેવતા કે અશુર કે માણસ એને ના મારી શકે, તેમજ એનું મૃત્યું ના તો રાત્રે થાય ના તો દિવસે , ના પૃથ્વી પર ના આકાશ પર
કોઈ શસ્ત્ર એનો અંત ના કરી શકે...આવું વરદાન મેળવી એ નિરંકુશ થયા.
એને ત્યાં જ એક બાળક નો જન્મ થાય છે, જેનું નામ પ્રહલાદ , પ્રહલાદ બાળપણ થીજ ભગવાન વિષ્ણુ ના ઉપાસક હતા,
અશુર રાજ પિતા હિરણ્યકશ્યપ થી આ સેજ પણ સાંખી નોહ્તું લેવાયું,
વિષ્ણુ ભક્તિ રોકવા પ્રહલાદ ના પિતા એ ખૂબ કાવા દાવા કર્યા પણ જે સાર્થક નીવડ્યા નહિ,
આથી અંતે એન કેન પ્રકારે એમણે પુત્ર ની હત્યા માટે કૃત્યો શરૂ કર્યા,
પ્રહલાદ ને ઝેર પીવડાવ્યું,
તલવાર થી પ્રહારો કરાયા,
બાળ પ્રહલાદ ને નાગ સામે ઊભો રાખ્યો,
હાથી ના પગ નીચે કચડાઇ નાખવા પ્રયત્ન કર્યા
પણ દર વખતે ભગવાને એ બાળ ઉપાસક પ્રહલાદ નો જીવ બચાવ્યો.
માન્યતા મુજબ હોળી ના આઠ દિવસ પેહેલા એટલે આઠમ થી પૂનમ સુધી પ્રહલાદ એ ખૂબ કષ્ઠ વેઠ્યું
અંતે હિરણ કશ્યપ ના બહેન , કે જેમને અગ્નિ થી બચવા એક ઓઢણી નું વરદાન હતું , આથી હોલિકા એ પ્રહલાદ ને ગોદ મા બેસાડી , હોળી માં પ્રવેશ કર્યો... ઈશ્વર કૃપા થી એ ઓઢણી બાળ પ્રહલાદ પર આવી અને ત્યારે પ્રહલાદ બચી ગયા અને હોલીકા બળી ગયા.
એ બાબત ને જ યાદ કરી ને હોળાકષ્ટ ઉજવાય છે.
બાદ માં હિરણ્ય કશ્યપ ને મારવા ભગવાન વિષ્ણુ
એક સ્થંભ માંથી નીકળી અને નૃહસિંહ અવતાર ધારણ કરે છે
ગોધુલી સમયે, દરવાજા ના ઉંબરા પર હિરણ્ય કશ્યપ નો વધ કર્યો..
બીજી માન્યતા,
ભગવાન શિવ અને કામ દેવ
વસંત ઋતુ ની ઉજવણી પ્રાચીન સમય થી થાય છે, દંત કથા મુજબ કામદેવ ભગવાન શિવ ની તપશ્ચર્યા ભંગ કરવા વસંત ઋતુ ના રૂપ માં આવ્યા અને શિવ ની તપશ્ચર્યા ભંગ કરી.
ગુસ્સે ભરાયેલા મહાદેવ એ કામ દેવ ને ભસ્મ થી બાળી નાખ્યાં,
ગુસ્સો શાંત થયા બાદ કામ દેવ ને શ્રી કૃષ્ણ ના પુત્ર તરીકે જન્મ લેવા નું વરદાન આપ્યું.
એવી માન્યતા છે કે જે દિવસે આ ઘટના બની હતી ત્યારે ફાગણ માસ ની પૂર્ણિમા હતી.
વસંત ના આગમન ની ઉજવણી સ્વરૂપે રંગો થી આ ઉત્સવ ઉજવવા માં આવે છે.
નવા પાક લણણી..
પાક પકવવો એ ખેડુ માટે ઉજાણી નો તહેવાર હોય છે
આ સમયે ઘઉં અને ચણા ની લણણી નો આ દિન હોય છે.
આ નવા પાક નો અમુક ભાગ પ્રજ્વલિત હોળી ને પ્રદક્ષિણા ફરી, હોળી માં ઇષ્ટ દેવ ને અર્પણ કરે છે.
આવીજ અવનવી વાતો જાણવા જોડાયેલા રહો...
વાતવિવેકથી ના નિયમિત કોલમ સાથે.
આભાર.
સૌજન્ય - vibes of India (gujarati),divyabhaskar app, wikipidia,
સંપાદક - વિવેક બારૈયા